• તાજેતરમાં કેતન ઇનામદારે પોતાના વિસ્તારમાં કામો ન થતાં નારાજ થઇને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને પરત ખેંચ્યુ હતું
  • ચેકડેમ અને એસ.ટી. ડેપોના કામો અટવાઇ ગયેલા હોવાથી કેતન ઇનામદારે ફરીથી CMને પત્ર લખ્યો
  • મારો કોઇ વિરોધ નથી, મારા વિસ્તારમાં કામ બાબતે જ પત્ર લખ્યો છેઃ કેતન ઇનામદાર

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારમાં કામો કરાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં કેતન ઇનામદારે પોતાના મત વિસ્તારમાં બસ ડેપો અને ચેકડેમનું કામ કરાવવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જોકે CM વિજય રૂપાણીને લખેલા પત્ર બાબતે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, મારો કોઇ વિરોધ નથી. આવા પત્રો દરેક ધારાસભ્યો પોતાના વિસ્તારના કામોની રજૂઆતો માટે કરતા હોય છે, મે પણ મારા વિસ્તારના કામ બાબતે જ પત્ર લખ્યો છે.
વહેલી તકે ચેકડેમો મંજૂર કરવા મારી માંગણીઃ કેતન ઇનામદાર
કેતન ઇનામદારે પત્રમાં લખ્યું છે કે, મારા મત વિસ્તાર સાવલી અને ડેસર તાલુકામાં નદીઓ અને કોતરો આવેલે છે. જેમાંથી ઘણી નદીઓ પસાર થઇને મહી નદીને મળે છે. કોતરોના ઢળાવના કારણે પસાર થતી નદીઓનું પાણી મહી નદીમાં મળી જાય છે. જેથી પાણી ન રોકાવાથી નદી કાંઠે આવેલા ગામોને સિંચાઇનો લાભ મળતો નથી. જે માટે આ વિસ્તારના ચેકડેમોની સુવિધા આપવા સારૂ વર્ષ 2015થી અવારનવાર મંત્રી અને ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવામાં આવેલ છે. જો ચેકડેમ બનાવવામાં આવે તો નદીનું પાણી સંગ્રહ કરીને આસપાસના ગામોના પાણીના લેવલ પણ ઉંચા લાવી શકાય, જેથી પીવાના પાણીના બોર/ હેન્ડપંપ અને કુવામાં સ્તર ઉંચા આવી શકે. પરંતુ આ બાબતે આજદિન સુધી કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. જે બાબતે અંગત ધ્યાન દોરી વહેલી તકે ચેકડેમો મંજૂર કરવા મારી માંગણી છે.
સાવલીમાં ડેપો હોવા છતાં સંચાલન થતુ નથીઃ કેતન ઇનામદાર
કેતન ઇનામદારે વધુમાં પત્રમાં લખ્યું છે કે, તાલુકાના મુખ્ય મથક સાવલી ખાતે અદ્યતન બાંધકામ સહિતનો એસ.ટી. ડેપો વર્ષો પૂર્વે કાર્યરત કરવામાં આવેલ હતો. જે શરૂ થયાના થોડા સમય બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાઘોડિયા તાલુકામાં ભાડાના મકાનમાં કાર્યરત કરવામાં આવ્યો હતો. સાવલી ખાતે એસ.ટી. ડેપો ન હોવાના કારણે બસોના રેગ્યુલર રૂટોની ઘણી બુમો પડે છે અને સાવલીની બસોનું સંચાલન વડોદરા, વાઘોડિયાથી કરવામાં આવે છે. સાવલીમાં એસ.ટી. ડેપો હોવા છતાં બીજા ડેપોમાંથી સંચાલન કેમ કરવામાં આવે ? જેથી સાવલી ડેપોને 8 જુલાઇ 2017માં સાવલી પીકઅપ સ્ટેન્ડના લોકાર્પણ સમયે મંત્રીને રૂબરૂ ડેપોનું નિરીક્ષણ કરી તાત્કાલિક ડેપો શરૂ કરવા સૂચના પણ આપેલ હતી. પરંતુ ત્યારબાદ આજદિન સુધીમાં કોઇ કાર્યવાહી થવા પામેલ નથી. તો મારી આ રજૂઆતને ધ્યાને લઇને તાકીદે ઘટતુ કરશો જ.

વડોદરા – BJPના MLA કેતન ઇનામદારે ફરીથી CMને પત્ર લખ્યોઃ ‘ચેકડેમના કામ માટે મંત્રીને 2015થી રજૂઆતો કરી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી’ was originally published on News4gujarati