– તા.7 થી 10 માર્ચ સુધી એકસ્ટ્રા સંચાલનનું આયોજન
– હોળી-ધૂળેટીમાં અમદાવાદથી દાહોદ, ગોધરા , ઝાલોદ માટે પણ વધારાની 200 બસો મૂકાઇ
હોળી-ધૂળેટીના તહેવારને લઇને અમદાવાદથી દાહોદ, ગોધરા અને ઝાલોદ માટે તા.૬ થી ૧૧ માર્ચ સુધી વધારાની ૨૦૦ સ્પેશિયલ એસ.ટી.બસો દોડાવાશે. ડાકોરના ફાગણી પૂનમના મેળા માટે પણ તા.૭ થી ૧૦ માર્ચ સુધી એસ.ટી.તંત્ર દ્વારા ૪૧૫ બસો એકસ્ટ્રા બસો મૂકાશે. હોળીમાં મુસાફરોને સુવિધા માટે એસ.ટી.નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે.
અમદાવાદમાં મોટી સંખ્યામાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલ મજૂરવર્ગ વસવાટ કરે છે. હોળી-ધૂળેટીમાં તેઓ વતન જતા હોવાથી તેઓની સુવિધા માટે ગીતા મંદિરથી વધારાની એકસ્ટ્રા બસો દાહોદ, ગોધરા અને ઝાલોદ માટે ઉપાડવાની વ્યવસ્થા કરાઇ છે. એક બસ ભરાય તેટલા મુસાફરો હશે તો માંગ પ્રમાણે જે તે સ્થળેથી પણ બસો ઉપાડવાની તૈયારી એસ.ટી.નિગમ દ્વારા હાથ ધરાઇ છે.
આગામી તા.૯ માર્ચને સોમવારે ડાકોરનો પૂનમનો મેળો છે. તેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે પહોંચતા હોય છે. તેવામાં આ પદયાત્રીઓ માટે એસ.ટી.તંત્ર દ્વારા ૪૧૫ વધારાની બસો દોડાવાશે.
નડિયાદ વિભાગના વિભાગીય નિયામક પરમારના જણાવ્યા મુજબ અમદાવાદથી ડાકોર માટે ૩૦૦ ડાકોર-પૂનમ સ્પેશિયલ બસો દોડાવાશે. બરોડાથી ડાકોર માટે ૫૦, નડિયાદથી ડાકોર માટે ૩૦, આણંદથી ડાકોર માટે ૨૦, કપડવંજથી ડાકોર માટે૨૦ સ્પેશિયલ બસ દોડાવાશે. તા.૭ થી ૧૦ માર્ચ સુધી ડાકોર હોળી-પૂનમ સ્પેશિયલ બસો દોડાવવામાં આવનાર છે.
ડાકોરમાં હંગામી બસ સ્ટેન્ડો પણ ઉભા કરવામાં આવશે. કે જ્યાંથી મુસાફરોને જે તે સ્થળે જવામાં સરળતા રહેશે.
ડાકોરના મેળા માટે STની વધારાની 415 બસો દોડાવાશે was originally published on News4gujarati