મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા 22 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 551 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસે શહેરના હાર્દ સમા નાગરવાડા, પાણીગેટ, વાડી, માંડવી જેવા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યા બાદ હવે વાઘોડિયા રોડના વિસ્તારોમાં ફફડાટ ફેલાવ્યો છે. દરમિયાન આજે નવી ગાઈડલાઈન પ્રમાણે 41 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી વડોદરામાં અત્યાર સુધીમાં 291 દર્દીઓ રિકવર થતા રિકવરીનો રેટ 55 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરતા તંત્ર એક્શનમાં આવ્યું છે.
પૂર્વ વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે. બે તબીબોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બે તબીબોના પિતાનું કોરોનાથી મોત થયું હતું. વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ ઉપર રહેતા અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રથમ કેસ વખતે જ માસ ટેસ્ટિંગની રજૂઆત કરી હતી. અંતે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તંત્ર એક્શનમાં આવ્યું છે. ધારાસભ્ય સભ્ય શૈલેષ મહેતા અગાઉ પણ તંત્ર સામે બાયો ચઢાવી ચૂક્યા છે.
વડોદરા તંત્ર દ્વારા શ્રમિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી એક ટ્રેનમાં 1600 શ્રમિકો વતન જઈ શકશે. અત્યાર સુધી 1200 લોકોની કેપેસિટી હતી. શ્રમિકો ઉમટી પડતા તંત્ર દ્વારા આવકારદયક નિર્ણય લેવાયો છે.
પાદરા ગ્રામ્ય બાદ શહેરમાં કોરોનાનો 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. પાદરાની ઓધવભુલાની ખડકીમાં રહેતા 30 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત યુવક દારૂના ગુનામાં ઝડપાયો હતો. મેડિકલ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાદરા નગર માં કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોચ્યું છે. પોલીસે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.
નવા નોંધાયેલા કેસમાં પાણીગેટ અને વાડી વિસ્તારમાં 4-4 અને રાવપુરા તથા યાકુતપુરામાં 3-3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત વારસિયા રિંગ રોડ વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો. જાહેર કરાયેલા પોઝિટિવ દર્દીઓમાં 18 પુરુષ અને 10 મહિલાઓનો સમાવેશ થતો હતો. જ્યારે 18 વર્ષ સુધીના 2 દર્દીઓ તથા 19થી 59 વર્ષ વચ્ચેના 21 દર્દીઓ તથા 60 કે તેથી વધુ વયના 5 દર્દીનો સમાવેશ થાય છે.
શહેરમાં કોરોનાથી છેલ્લા ચાર દિવસમાં 3 મોત થઇ ચૂક્યાં છે પણ આ તમામ કોરોના પોઝિટિવ હતા. જયંતી રાજપૂત, અમીરશા દિવાન અને નાનીક ચાંગલાનીના કોરોના પોઝિટિવ હતા. પણ ઓડિટ થયા બાદ મોત સત્તાવાર કરવાના નિયમને લીધે શહેરમાં કોરોનાને લીધે માર્યા ગયેલાઓનો બિન સત્તાવાર આંક 34 પર અટક્યો છે. આગામી દિવસોમાં તેનું ઓડિટ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરા : નવા 22 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 551 પર પહોંચ્યો, રિકવરી રેટ 55 ટકા થયો was originally published on News4gujarati